શુક્રવાર, 28 ઑક્ટોબર, 2011

હું આવ્યો છું બહારવટું શીખવવા..



વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ડાહ્યું માણસ એ કેડે રાતવરત નીકળવાની મૂર્ખાઇ કરે નહીં.
એક અંધારી રાતે એ કેડો વિશેષ બિહામણો બન્યો હતો. એક બાબર દેવાની, બીજી નામદારિયાની અને ત્રીજી ડાયાભાઇ ફોજદારની -એવી ત્રણ લૂંટારું ટોળીઓ વાત્રકના અને મહીના કાંઠા ખૂંદી રહી હતી. ડાયો બહારવટિયો પોતાને 'ડાયોભાઇ ફોજદાર' કહેરાવતો.
એવી એક રાતનો ઘાટો અંધાર-પડદો પડી ગયા પછી કપડવંજ તાલુકાના ગામ ભરડકાથી નીકળીને એક બ્રાહ્મણ સરસવણી ગામે જતો હતો. પગપાળો, પગરખાં વિનાનો એક પોતડીભર અને એક ટોપીભર.ઉમર હશે ચાલીસેક. આમ તો એની વહાણુવાયાથી રાતે સૂવા - વેળા થતાં લગી મુસાફરી કરવાની રોજિંદી ટેવ હતી, એટલે રોજ માર્ગે મળતા ખેડૂત લોકની પાયલાગણી અને પ્રેમભીની વાણી પોતાને પરિચિત હતી. પણ સીમમાંથી ભરડકા ગામ ભણી પાછા વળતાં લોકોનું આ રાતનું વર્તન કંઇક વિચિત્ર હતું.કદી ન દીઠેલી તેવી કંઇક આકળવીકળતા ભરી ઉતાવળ આ રાતે મરદો-ઓરતો તમામના પગમાં આવી હતી. આડે દા'ડે તો મધ્યાહ્નના ધખતા ધોમ ટાણેય જો આ 'મહારાજ' સામા મળે, તો પોતા-માંહ્યલા એકાદ જણની પાઘડી ભોંય પર બિછાવીને તે પર એમને ઊભાડી એનાં ચરણોની રજ લેનારાં અને નિરાંતે વાતોના ટૌકા કરનારાં આ લોક આજ રાતે કંઇક વિશેષ ઉતાવળમાં કેમ હશે? 'પાછા વળોને !' એવું કહેવામાં પણ કેમ પોતના સ્વરને તેઓ ધીરો પાડી દેતા હશે? એમના એ બોલવામાં સચિંતપણાની સાથે પાછું કાંઇક દબાઈ જવા જેવું અને ગળું રૂંધાઇ જવા જેવું કેમ હશે? એવો પ્રશ્ન મુસાફરના મનમાં આછો આછો આવ્યો તો ખરોઃ પણ આવ્યા ભેળો તરત પસર થઇ ગયો'હોય; ખેડૂતો છે, ઘેર પહોંચવાની ઉતાવળ હશે. ને હું એક વાર ઊપડ્યો તે પાછો ન વળું, એ તો તેમને સર્વને જાણીતી  વાત છે.'
પછી તો લોકો મળતાં બંધ પડ્યાં, સીમ છેક ઉજ્જડ બની ગઇ, અને આથમણી વહેતી ઊંડી વાત્રકનાં ચરાં તેમ બીજી તરફ ખેતરાં-એ બેઉની વચ્ચે ચાલી જતી રસ્તાની નાળ્ય(બેઉ બાજુ ટેકરીની વચ્ચેનો સાંકડો ઊંડો રસ્તો)વધુ ને વધુ ઊંડી થતી ગઇ. અંધારું એટલું ઘાટું બન્યું કે મુસાફરને પોતાનો હાથ પણ કળાતો બંધ પડ્યો. એકાએક એની છાતી ઉપર કશોક સ્પર્શ થયો, કોઇ જીવતા માણસના હાથ એને પાછા ધકેલતા જણાયા; અને તેણે પૂછ્યું ઃ "કોણ છો, લ્યા!"
"પાછા વરો!" સામો ફક્ત એટલો જ જવાબ આવ્યો. કાનમાં કહેતો હોય તેવો ધીરો અને ભયભર્યો અવાજ.
"કોણ પૂંજો?" મુસાફરે, પોતનો પ્રત્યેક પશુનો અવાજ પિછાનનાર માલધારીની રીતે, એ દબાઇ ગયેલ સ્વરને પકડી લીધો.
" હા, ચાલો પાછા." મુસફરની છાતીને પાછી ધકેલનારે પોતાના સ્વરને વિશેષ ધીરો પાડ્યો; પણ મુસાફરે તો પોતાના કાયમના એકધારા ઝીણા અવાજને વધુ હળવો પાડવાની જરૂર જોયા વિના પૂછ્યું ઃ " પણ શું છે, લ્યા?"
"આગર્ય નકામાં લોકો સે, મહારાજ !"( આગળ નકામાં લોકો - એટલે હરામખોરો છે.)
"કોણ બહારવટિયા?"
"હા, નામદારિયો."
"ફિકર નહીં, પૂંજા! હું એમની જ શોધમાં છું." બ્રાહ્મણના મોંમાં ટપ દેતો એ બોલ નીકળી પડ્યો. અહીંથી શરુ કરીને આ બ્રાહ્મણ મુસાફર, આ ધારાળા-ઠાકરડાના ગોર, પોતે જે કંઇ બોલતા ગયા તેમ જ વર્તન કરતા ગયા તેમાં પૂરેપુરો વિચાર હતો કે કેમ, પરિણામોની ગણતરી અને ભાન હતાં કે કેમ, તે તો એ મુસાફર જો તમને કોઇને આજે મળશે તો પણ કહી શક્શે નહીં.કદાચ એ એમ જ કહેશે કે આ ક્ષણથી એમણે કરેલ વર્તનનો કાબૂ એમના નહીં પણ કોઇક બીજાના હાથમાં હતો. એ બીજું કોણ? તો એનો સંતોષપ્રદ જવાબ એ આજે પણ આપી શકશે નહીં.
એણે ફરીથી કહ્યુંઃ"હું એમની જ શોધમાં છું, પૂંજા !મારે એમને મળવું છે."
"બોલો ના, બાપજી!" હેબતાઈ ગયેલ પૂંજાએ અંધારે અંધારે માંડ જીભ ઉપાડી "એ લોકો તમારી ઇજ્જત લેશે."
"મારી ઇજ્જત! પૂંજા! મારી ઇજ્જત તેઓ ન લઈ શકે તેવી છે. ચાલ, મને તેમનો ભેટો કરાવ."
"બોલશો ના, બાપજી! હું તમને જવા પણ જવા દઉં નહીંને સાથે આવું પણ નહીં. એ લોકો તમારા પર કંઇક કરે તો હું તમને બચાવી શકું નહીં, એટલે મારે મરવું પડે. પાછા હીંડો- કહું છું; એવા એ તમને બાન પકડી રોકી રાખશે."
"બાન પકડી...!" આ શબ્દોએ મુસાફરના મગજમાં વીજળીનો ઝબકારો કર્યો. અત્યાર સુધી એને એ જ ઓસાણ જ નહોતું ગયું. પણ બાન પકડવાની વાતે એને જાગ્રત કર્યો.- બાન પકડે છે બાનને છોડવા બદલ મોટી મોટી રકમો માગે છે અને મુદ્દતસર એ માગ્યાં મૂલ ન મળે તો આ લૂંટારા બનને ઠાર મારે છે! જાન ગુમાવવાનો તો શો ડર હોય! પણ..એકાએક એને યાદ આવ્યું કે પોતાની કને કોઇક એવી અમૂલ્ય વસ્તુ છે કે જે ડાકુઓના હાથમાં વેડફી દેવાય નહીં. પોતાના પ્રાણ અત્યારે એના પોતાના નહોતા રહ્યા.
પોતાની જિંદગીને એણે એક બીજે ઠેકાણે હોડમાં મૂકી દીધી હતી; ત્યારે નહીં, પણ ત્યારથી જ બે મહિના પછી એ પ્રાણનો ભોગ બીજે ઠેકાણે ચડાવવા માટે કોલ-દસ્તાવેજ થઈ ચૂક્યા હતા. માથું તો બારડોલીના મેદાનને અર્પણ બની ગયું હતું. ૧૯૨૨ની એ સાલ હતી. મહાત્મા ગાંધીએ બ્રિટિષ સરકારને બે માસની મહેતલ આપી હતી. હિંદને બે મહિનામાં જો સરકાર સ્વરાજ્ય નહીં આપે, તો ગાંધી બળાવો પોકારવાના હતા. ગુજરાત એ બળવાનો પહેલો બલિ બનવાનું હતું; દેશવ્યાપી લડતમાં પહેલાં તોરણ બારડોલીને બારણે બંધાવાનાં હતાં અને ત્યાં સરકારની બંદૂકોની ધાણી ફૂટવાની હતી, એ વિશે તો કશો શક નહોતો. એ બંદૂકોની ગોળીઓ ખાવા માટે બે હજાર ઉમેદવારોએ પોતાનાં નામ નોંધાવ્યાં હતાં, તેમાં બે નામો જરા વધુ લાડીલાં હતાંઃ એક મોહનલાલ કામેશ્વર પંડ્યાનું ને બીજું આપણા બ્રાહ્મણ મુસાફરનું માથું તો ત્યાં જમા થઈ ગયું હતું તે ઉપરાંત મૃત્યુનો એ મોકો કેટલો મંગળ, કેટલા થનગનાટ કરાવનરો, કેટલો અપૂર્વ લહાવ લેવાને હિલોળે ચડાવનારો હતો!
સપાટાબંધ આ મુસાફરની કલ્પનામાં એક દ્રશ્ય અંકાયુંઃ પાંચ જ દહાડા પર મહીકાંઠાના ખાનપુર ગામમાં 'બારડોલી સંગ્રામ'નો સંદેશ સંભળાવતી જાહેર સભા મળી હતી. સભા પૂરી થઈ. ગામનો યુવાન મુખી પરશોતમ, સરકારી નોકર, આ બ્રાહ્મણની પાસે આવ્યો; એમને પોતાને ઘેર લઈ ગયો. ઘેર જઈને જુએ તો એણે પોતાના બે નાના દીકરાનાં નામ શોકત અલી-મહમદ અલી પાડેલાં -એક જાડિયો ને કે પાતળો હતો તેથી જ તો! આ બ્રાહ્મણે કહ્યું કે," પરશોતમ! ત્યારે હવે નોકરી છોડો ને!" મુખી કહે કે, " એ તો મારું ગજું!" પણ રાત પૂરી થઈ; સવારે એણે મહેમાનને જમાડીને કહ્યુંઃ "આંહી બેસો. બૈરી સાથે બેસીને આખી રાત સંતલસ  કરેલ છે ને તે પછી આ રાજીનામું લખેલ છે. તે વાંચો." બ્રાહ્મણ વાંચતા ગયા તેમ તેમ તો ઊછળતા ગયા. રાજીનામું અતિ કડક હતું. એણે મુખી સામે જોયું. મુખી એ કહેવા માંડ્યું "રાજીનામું હમણાં ને હમણાં સરકારમાં મોકલું છું, પણ એક શરતે કે બારડોલીમાં જ્યારે ગોળીઓ ચાલે ત્યારે પહેલી ગોળી મને ખાવા દેવી, ને હું 'જય ભારતમાતા!' કહી પડું તે પછી જ બીજાનો વારો ગોળી ખાવાનો આવે, તે પૂર્વે નહીં. છે આ શરત કબૂલ?" એ પ્રસંગ યાદ આવ્યો. દિલ બોલ્યું, આવા રોમાંચક અને રાષ્ટ્રમંગલ મૃત્યુપર્વને મેં અર્પણ કરેલી જિંદગી અહીં ડાકુઓના હાથમાં રોળાયે શો લાભ! ચાલને જીવ, પાછો! ફરી જા પાછો..ચાલ પાછો..ચાલ પાછો- એ  જ ક્ષણે એક બીજું દ્રશ્ય બ્રાહ્મણની નજર સામે ઊભું થયું, ત્રણા જ દિવસ પરની રાતે વાસણા ગામના ચોકમાં બનેલો એ પ્રસંગ હતો. સેંકડો માણાસોની ઠઠ હતી. ડાકુઓના રંજાડ વિશેની એ સભા હતી. પોતે લોકોને બહારવટિયાની સામે પ્રાણ પાથરવા હાકલ્યા હતા. અને તે વખતે મહેમદાવાદ તાલુકાનો એક પાટીદાર ત્યાં પોતાની કથની કહેવા હાજર હતો. એણે કહેલી કથની આ હતી-
"બહારવટિયા અમારા ઘર પર આવ્યા. મારી કને બે-જોટાળી બંદૂક હતી, તો પણ હું નાઠો. પાછળથી સુવાવડમાં પડેલી મારી બૈરીને તેમ જ આંધળી, બુઢ્ઢી મા ને બહારવટિયા માર મારી ગયા છે તેવા મને ખબર પડ્યા છે." ભરી સભામાં આવું વર્ણન કરનાર એ ભીરુ પાટીદારને આ બ્રાહ્મણે એ તે જ વખતે કહ્યુમ હતું કે, " વહ વા! ત્યારે હવે તો તમને મરકી, કોગળિયું કે કુદરતી મોત કદી નહીં જ આવે, ખરુંને! શરમ નથી આવતી?- કે ત્મારી કારણે સુવાવડમાં પડેલી તમારી સ્ત્રીને અને નવ નહિના જેણે ભાર વેઠ્યોતે માને તમે ડાકુઓને હાથે પિટાતી મૂકીને નાસી છુટ્યા. બે-જોટાળી બંદૂક રાખતા હોવા છતાં!" એમ કહીને આ લોકોને બહારવટિયાનો મરણાંત સુધીનો સામનો કરવા પડકાર્યા હતા.
એટલે આજે જો હું પોતેજ પાછો ફરું તો! તો લોકો શું કહેશે! એ પાટીદાર શું કહેશે! બારડોલીની બે મહિના પછી આવનારી લડતની વાતો કોણ સમજશે! ે ઝપાટાબંધ આવેલ બે વિચારોનો નિકાલ પણ એક સપાટે આણી મૂકી એણે કહ્યું "પૂંજા, તું છો ના આવે, પણ મને બતાવ, ક્યાં છે એ લોકો?"
ઘડીભરબી ચૂપકીદી. પૂંજાના કોઠામાં એક મોટો નિઃશ્વાસ પડ્યો, તે મુસાફને સંભળાયો. અને પછી પૂંજો ફક્ત એટલું જ બોલી શક્યો, "ત્યારે શું તમે નક્કી ત્યાં જવાના!"
"હા, પૂંજા; કહે મને -ક્યાં છે એ લોકો?"
"જુઓ, આ બાજુના જ ખેતરમાં પડ્યા છે." પૂંજાએ ઉગમણી દિશાએ ઊંચી જમીન પરનું ખેતર ચીંધાડીને લાચાર અવાજે ઉમેર્યુંઃ "પણ જોજો હો, બાપજી!- આ મેં તમને કહ્યાની વાત કોઇને કહેશો નહીં. નહીંતો બહારવટિયા જાણશે તો એવા એ પીંજી નાખશે ને પોલીસ જાણાશે તો એવા એ મારું લોહી પીશે."
"વારુ; જા તું તારે."
અંધારામાં પૂંજો જાણે ઓગળી ગયો અને મુસાફર એ કેડાની ઉંડી નાળ્યમાં આગળ વધ્યો. થોડે છેટે જતાં એણે નાળ્યને કાંઠે ખેતરમાં ઝાંપલીની પાછળથી એક પડછંદ આદમી ચૂપચાપ ઊભો થયો. હાથમાં બંદૂક હતી. તારોડિયાને અજવાળે સ્પષ્ટ વરતાયો.
ખડ ખડ ખડ ખડ ખડ, મુસાફર આ બંદૂકિયાને જોતાંની વાર ખડખડાટ હસી પડ્યો, અને એણે પૂછ્યુઃ"કેમ? તમે એકલા કેમ છો? બીજા બધા કંઇ(ક્યાં) છે?"
આ ખડ-ખડ હાસ્ય અને તેની પછી તરત આવેલો આ વિચિત્ર પ્રશ્ન એ બંદૂકદારને હેબતાવવા બસ હતો. જવાબ એણે વાળ્યો નહીં, એટલે મુસાફરે ઝાંપલી ખોલીને અંદર જઈ ખેતરમાં ચાલવા માંડ્યું. બંદૂકદાર ચૂપચાપ એની પાછળ ચાલ્યો.
થોડે છેટે ગયો હશે ત્યાં તો મુસાફરે બીજા બે બંદૂકદારોને પોતાની સામે ખડા થયેલા દીઠા. તેઓ પણ મૂંગા હતા.
"તમે બે જ કેમ? બીજાઓ ક્યાં છે?" મુસાફરના મોંમાંથી આપોઆપ એ નો એ જ સવાલ સરી પડ્યો. જવાબ કોઇએ વાળ્યો નહીં. પાછો મુસાફર આગળ વધ્યો. એટલે એ બન્નેમાંથી એક્કેક બંદૂકદારે મુસાફરની ડાબી ને જમણી બાજુએ ચાલવા માંદ્યું. ત્રીજો બંદૂકદાર તો એની પાછળ જ ચાલતો હતો. એવામાં એકાએક સામેથી અવાજ છુટ્યોઃ
"ખબરદાર! ત્યાં જ ઊભો રે'જે નીકર ઠાર થશે."
તરત મુસાફર થંભી ગયો. બોલનારને એણે થોડે દૂર દીઠો-ઘોડે બેઠેલો.
"કુણ સે તું?"ઘોડાની પીઠ પરથી સવાલ આવ્યો.
"બહારવટિયો છું."મુસાફરે જવાબ વાળ્યો.
"અંઇ ચ્યમ આયો સે?"
"થોડીક વાતો કરવા. તમારા સર્વ જણને મળી લેવા. ક્યાં છે એ બધા?"
જવાબમાં ઘોડેસવાર કંઇ બોલ્યો નહીં. પણ આથ-દસ નવા માણાસો આવીને સામે ખડા થઈ ગયા. થોડીવારની ચૂપકીદી પચી મુસાફરે કહ્યુંઃ
"છેટે કેમ ઊભા છો? પાસે આવો, બેસો."
આજ્ઞાનું પાલન થતું હોય તેમ એ આથ-દસ જણા મુસાફરની સામે ભોંય પર બેસી ગયા.
ફરી પાછો દૂરથી ઘોડેસવારે પ્રશ્ન કર્યોઃ"કુણ સે તું?"
"કહ્યું નહીં કે હું બહારવટિયો છું!"
"કોની ટોરીનો.?"
ગાંધી મહાત્માની ટોળીનો."
સામે કોઈ પ્રશ્ન આવ્યો નહીં. ટોળીવાળાનું નામ સાંભળતાં ડાકુઓ મૂંગા બન્યા. અને મુસાફરની જીભ એની મેળે જ આગળ ચાલીઃ
"હું ગાંધી મહાત્માની ટોળીનો છું, ને તમને સાચા બહારવટાની રીત શીખવવા આવ્યો છું. કહેવા આવ્યો છું કે એમણે અંગ્રેજ સરકારની સામે બહારવટું માંડ્યું છે. આપણાં બધા દુઃખોનું મૂળ આ પરદેશી સરકાર છે. સાચું બહારવટું એમની સામે કરવાનું છે. તમારાં નાનાં બહારવટાથી કશો દા'ડો વળે તેમ નથી. આજથી બે મહિને બારડોલીમાં સરકાર ગોળીઓ ચલાવશે. તમારે સાચું બહારવટું કરવું હોય તો ચાલો ગાંધી મહાત્મા કને."
મુસાફર બોલી રહ્યો ત્યાં સુધી બારમાંથી કોઇએ શબ્દ સરખો યે ઉચ્ચાર્યો નહીં. પછી ઘોડેસવારે પ્રશ્ન મૂક્યોઃ
"ગાંધી માત્મ્યાએ લોકોનું શું સારું કર્યું છે?"
"જોયું નહીં અમદાવાદમાં?" મુસાફરને હોઠે એક એવી હકીકત હાજર થઈકે જે ડાકુઓ સમજી શકે, "મિલના શેઠિયા મજૂરોની રોજી વધારતા નહોતા.તે માટે ગાંધી માત્મ્યાએ લાંઘણો ખેંચી અંતે વધારો અપાવ્યે જ રહ્યા."
આ વખતે સામે ભોંય પર બેઠેલાની ચૂપકીદી તૂટી, અને તે માંહેલા એકે સામો પ્રશ્ન પૂછ્યો,"એમાં ગાંધી માત્મયાએ લોકોનું શું ભલું કર્યું? વિશેષ બૂરું જ કર્યુ. શેઠિયા તો કાપડ પર એટલા ભાવ ચડાવશે; આપણને કાપડ વિશેષ મોંઘું મળશે."
ઘદીભર તો મુસાફર ગમ ખાઇ ગયો. ડાકુના મોંમાંથી અણકલ્પી ચોટદાર દલીલ આવી હતી. પછી લોકસમૂહની આંતરવેદના સમજનારા મુસાફરની જીભે જવાબ આવ્યો,"શેઠિયાના હાથમાં ન પડવું પડે તે માટે તો ગાંધી માત્માએ રેંટિયો બતાવ્યો છે. છો ને શેઠિયા કાપદ મોંઘું કરે આપણે રેંતિયે કાંતીને પહેરી શકીએ."
"નહીં રે નહીં, મહારાજ!" ટોળીમાંનો બીજો એક બોલ્યો('મહારાજ'એવો શબ્દ ઉચ્ચારતાં તો મુસાફરે જાણી લીધું કે પોતે ઓળખાયેલ છે)"નહીં, મહારાજ! એમ શું લોકો ગાંધી માત્મ્યાનો રેંટિયો કાંતવાના?-એ તો કાંતશે અમારી બંદૂકો દેખશે ત્યારે!"

"તમે ચાલો ગાંધી માત્મ્યા કને. હું તમને તેડી જવા અવ્યો છું એ તમને બધી વાત સમજાવશે.ચાલો,તમને મારામાં વિશ્વાસ ન હોય, તો તમારામાંથી એક જણ ચાલો. જો હું દગો રમું, તો તમે બાકી રહેલા મારા પર વેર લેજો."
"ગાંધી માત્મ્યા આપણા મલકમાં આવે ત્યારે વાત,મહારજ! ત્યારે અમે મળીશું, હમણાં નહીં." ઘોડેસવારે જવાબ દીધો."અમે ક્યાં ગરીબોને પીડીએ છીએ? તમે જ બતાવોઃપૈસાવાળા અથવા ગરીબોને પીડનારા સિવાયના કોઇને પણ અમે માર્યો-લૂંટ્યો છે?'
"તમને શી ખબર?"મુસાફરે કહ્યું, "તમારા આવવાના ખબર થાય કે તમામ લોકો ફફડી ઊઠે છે, નાસે છે, છુપાય છે; ખેડધંધો કરી શકતા નથી. અને તેમને સરકારી પોલીસ રંજાડે છે, એ તો જુદું, તમારા ત્રાસની તમને ખબર નથી."
"પેટ માટે કરવું જ પડે તો!" એક ડાકુએ કહ્યું.
"પેટ માટે? પેટ તો તમારું પ્રત્યેક મહિને પોણો મણ દાણો માગે છે. પણ તમારે હજારોની લૂંટો કરવી પડે છે, કારણકે તમારે તમારા આશરાવળાઓને દેવું પડે છે;સિપાઇઓને પણ દેતા હશો. તમારે ફક્ત પેટ ભરીને બેસવું પાલવે નહીં."
ડાકુઓ પાસે આનો જવાબ નહોતો.તેઓ મૂંગા રહ્યા. થોડી વાર રહીને એક આદમીએ મુસાફરને પૂચ્યું(અવાજ પરથી એ જુવાન જણાતો હતો)
"સીસાપેનનો કકડો હશે ત્મારી કને?"
"હા."
"કાગર?"
"છે."
"તો આલશો?તમારા ગામના બામણ સોમા માથુર પર અમારે ચિઠ્ઠી લખવી છે."
"શું?"
"-કે રૂપિયા પાંચસે પોગાડી જાય;નહીંતર ઠાર માર્યો જાણે. એ ચિઠ્ઠી સોમામાથુરને આલી અવજો."
અત્યાર સુધીના વાર્તાલાપમાં એકધારો મીઠો અને સુરીલો, કોઇ કુલીન વહેવારુના કંઠ સમો ધીરો ચાલ્યો આવતો મુસાફરનો અવાજ આ વખતે સહેજ ઊંચો થયો. એણે કહ્યુ,"એવી ચિઠ્ઠીઓ લખવાને માટે મારાં સીસાપેન-કાગળ નથી; અને એવી ચિઠ્ઠીઓ પહોંચાડવા માટે હું આવ્યો નથી. હું તો મારા ગામ જઈને ગામલોકોને તૈયાર કરવાનો કે, ખબરદાર બનો. બહારવટિયાઓ આવે છે, તેમની સામે આપણે લડવાનું છે. તેઓ ગામ પર હાથ નાખે તે પૂર્વે આપણે મરવાનું છે."
"મારા હારા ભાન વન્યાના!"બીજઓ પેલાને એકી સાથે ઠપકો આપી ઊઠ્યા,"મૂંગો મરી રે'ને, મહારાજને તે આવું કહેવાતું હશે! હારો મૂર્ખો નઈ તો-"
પછી એક જણે મુસાફર તરફ ફરીને કહ્યું, "એ તો હારો હેવાન છે.મનમાં કંઇ લાવશો ના, હો મહારાજ! અને તમે હવે જવું હોય તો જાઓ, મહારાજ."
(ઝવેરચંદ મેઘાણીની કલમથી એક મહાપુરુષ 'શ્રીરવિશંકરમહારાજ'નુ જીવન-ચરિત્ર આલેખાયુ છે. તેમાનુ એક આ પ્રકરણ છે.)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો